અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. જો કે ભારતમાં ઘરઆંગણેની માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું. ૧લી ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦% રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦% રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦% હતો. અમેરિકાથી આવતા માલસામાન પર ભારત ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦% ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માંગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫%ના ટેરિફ દરથી દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે. આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસ દરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે.