અમેરિકામાં ફરી ફુગાવો વધવાના સંકેતો છે અને તેનું મુખ્ય કારણ તાજેતરમાં લાદવામાં આવેલ ભારે આયાત કર એટલે કે ટેરિફ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, અમેરિકાએ તેની મોટાભાગની આયાત પર સરેરાશ ૨૦% ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકન બજારમાં વસ્તુઓ મોંઘી થશે જ પરંતુ તે ભારત જેવા દેશોના વેપાર અને નિકાસને પણ અસર કરી શકે છે. જેવા સાથે તેવાની નીતિ અપનાવવા તલપાપડ થતા ટ્રમ્પે ભારત પર ૮ ઓગસ્ટથી ૨૫% ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે પરંતુ આ ટેરિફ હંટર અમેરિકનોને દંડશે તેવી આશંકા સેવાઈ રહી છે. એસબીઆઈના અહેવાલ મુજબ અમેરિકા દર વર્ષે અન્ય દેશોમાંથી લગભગ ૩.૨૬ ટ્રિલિયન ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૨૭૨ લાખ કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ આયાત કરે છે. આ સમગ્ર આયાત પર સરેરાશ ૨૦% ટેક્સ લાદવામાં આવશે તો ફટકો અમેરિકનોને જ પડશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્સને કારણે યુએસ રિટેલ ફુગાવો તાત્કાલિક ૨.૪% વધી શકે છે અને ૧.૨%નો વધારો લાંબાગાળે પણ રહી શકે છે. એસબીઆઈનો અંદાજ છે કે આ ટેક્સને કારણે દરેક અમેરિકન પરિવારને વાર્ષિક સરેરાશ ૨૪૦૦ ડોલર એટલેકે લગભગ ૨ લાખ રૂપિયાનું નુકસાન થશે. ગરીબ પરિવારો આનાથી સૌથી વધુ બોજ ભોગવશે કારણકે તેમની આવકનો મોટો ભાગ ફુગાવામાં જશે. તે જ સમયે, શ્રીમંત પરિવારોને પણ અંદાજે ૫૦૦૦ ડોલરનું નુકસાન થશે.